મદીના મુનવ્વરાહ ના કુવાઓ વિશે.
કૂવા ને અરબી માં બીર કેહવાય છે. એટલે અહીંયા કુવાઓના નામ ની આગળ બીર લાગેલું હોય છે જેમ પર્વત ને જબલ કહેવામાં આવે છે.
1. બીર ઉસ્માન (Bir Uthman) / બીર રૂમાહ (Bir Rumah)
સ્થિતિ: મસ્જિદે કિબ્લાતૈન ની દક્ષિણ તરફ આવેલો છે. ગૂગલ લોકેશન
ઇતિહાસ: આ કૂવો મૂળ રૂપે એક યહૂદીના માલિકીનો હતો, જે પાણી માટે ઊંચી કિંમત લેતો હતો. રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ના ફરમાન મુજબ હઝરત ઉસ્માન (રજિ.)એ આ કૂવો ખરીદી, અને મુસ્લિમો માટે વકફ કરી દીધો. આ કૂવો આજે પણ અસ્તિત્વમાં છે અને 1500થી વધુ ખજુરના ઝાડોને સિંચાઈ આપે છે. આનાથી થતી આવક આજે પણ ઉમ્મત માટે નેક કામો માં વાપરવા માં આવે છે.

(હાલ આ કુવો ઝાઈરીન માટે ખુલ્લો નથી)
2. બીર ઘરસ (Bir Ghars)
સ્થિતિ: મસ્જિદે નબવીથી દક્ષિણ તરફ, અલ-અવાલી વિસ્તારમાં. બીર ઘરસ મસ્જિદ કુબાથી માત્ર 1.5-2 કિમી દૂર સ્થિત છે. ગૂગલ લોકેશન
ઇતિહાસ: હુઝુર મુહમ્મદ ﷺ નો પ્રિય કુવાઓમાંનો એક છે. નબીએ આ કૂવામાંથી પાણી પીધું અને વઝૂ કર્યું. આપ ﷺ વારંવાર આ કૂવા માંથી પાણી પીવા આવતાં હતાં. તેમણે ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેમના વિસાલ પછી તેમના મુબારક શરીરને આ કૂવાના 7 મશક પાણીથી ગુસ્લ આપવામાં આવે.(સૂનન ઇબ્ને મજાહ:1468)
3. બીર અલ-ખતમ (Bir al-Khatam) /બીર અરિસ (Bir Arees)
સ્થિતિ: મસ્જિદ કૂબાના ની પાસે. ગૂગલ લોકેશન
ઇતિહાસ: નબી ﷺ આ કૂવા પર વારંવાર જતા હતા. અને પોતાના પગ મુબારક લટકાવી ને બેસતા હતા અને આપના સાથીઓ પણ આવું કરતા હતાં. હઝરત ઉસ્માન (રજિ.)ના ખિલાફત દરમિયાન, નબી ﷺ ની મુહરવાળી અંગૂઠી આ કૂવામાં પડી ગઈ હતી, જે પછી કૂવો “બીર અલ-ખતમ” તરીકે ઓળખાયો.
4. બીર ઇઝક (Bir Ethiq)
સ્થિતિ: મસ્જિદ કૂબાના ની પાસે. ગૂગલ લોકેશન
ઇતિહાસ: જ્યારે હિજરત કરી ને પ્રથમ વખત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ અને અબુ બકર સિદ્દીક મદીના આયા ત્યારે કુબા સ્થિત આ કૂવા પર થોડીવાર બેસીને પાણી પીધું હતું અને આરામ કર્યું હતું. (અહીંયા હમણાં ડેવલોપમેન્ટ નું કામ ચાલુ છે એટલે ઝાઇરીન માટે ખુલ્લું નથી)
5. બીર હા (Bir Ha) / અબૂ તલ્હા (રજિ.)નો બગીચો
સ્થિતિ: મસ્જિદે નબવીના પાછળના ભાગમાં. ગેટ ૨૧-૨૨ ની પાસે.
ઇતિહાસ: હઝરત અબૂ તલ્હા (રજિ.)નો આ બગીચો અને કૂવો નબી ﷺ ના પ્રિય સ્થળોમાંથી એક હતું. નબી ﷺ અહીં આરામ કરતા અને કૂવાના મીઠા પાણીનો ઉપયોગ કરતા. આ બગીચો અને કૂવો હવે મસ્જિદે નબવી માં શામેલ છે.
6. બીર અલ ઇહન / બીર યસિરહ (Bir Ehn-Bir Yassirah)
સ્થિતિ: મસ્જિદ કૂબાના થી 2 કિમી દૂર આવેલું છે. ગૂગલ લોકેશન
ઇતિહાસ: આ કુવો મદીનામાં અલ-અવાલી ક્ષેત્રમાં અલ-અવસ જાતિના બનુ ઉમૈયા બિન ઝૈદના રહેઠાણની જગ્યાએ આવેલું છે. આ કૂવો અલ-અસીરા (અઘરું) તરીકે ઓળખાતો હતો, પરંતુ જ્યારે પયગંબર મુહમ્મદ ﷺ બનુ ઉમૈયા ની મુલાકાતે ગયા, ત્યારે તેમણે તેના પાણીનો ઉપયોગ કરીને વઝુ કર્યું અને તેને “અલ-યાસીરા (સરળ) તરીકે ઓળખાવ્યું. તે આ કૂવાના પાણીથી હતું કે સહાબી અબુ સલામાહ બિન ‘અબ્દુલ-અસદ અલ-મખઝૂમી, ઉહુદની લડાઇ દરમિયાન તેમણે સહન કરેલા ઘામાંથી તેઓ શહીદ થયા પછી આ કૂવા ન પાણી થી ગુસ્લ આપવામાં આવ્યું હતું.
7. બીર બુદાહ (Bir Budah)
સ્થિતિ: હોટેલ અનવાર અલ મદીના મોવેનપિક ની પાર્કિંગ પાસે. ગૂગલ લોકેશન
ઇતિહાસ: સુનન અબૂ દાઉદ (હદીસ નં. 67)માં ઉલ્લેખ છે કે:
લોકોએ નબી કરીમ ﷺ ને પૂછ્યું: “શું અમે બીર બુદાઅના કૂવાના પાણીથી વઝૂ કરી શકીએ? આ કૂવામાં મરેલા કૂતરા, સ્ત્રીઓના માસિક ધર્મના કપડાં અને ગંદકી નાખવામાં આવે છે.” નબી ﷺ એ જવાબ આપ્યો: “પાણી શુદ્ધ છે અને કોઈ વસ્તુ તેને અશુદ્ધ નથી કરતી.” (તીર્મીઝિ 66, નસાઈ 327)
8. બીર બુસ્સા (Bir Busa)
સ્થિતિ: આ કુવા નું કોઈ નિશાન બાકી નથી, આ જન્નતુલ બકી ની પાસે અલ બેક રેસ્ટોરન્ટ ના ગેટ પાસે હોવાનું મનાય છે. ગૂગલ લોકેશન
ઇતિહાસ: બુસાનો કૂવો અબુ સઈદ અલ-ખુદરી (રજી.) ની માલિકીનો હતો. એક દિવસ પયગંબર મુહમ્મદ ﷺ અબુ સઈદ અલ-ખુદરી પાસે આવ્યા અને કહ્યું: (એ દિવસ જુમાનું દિવસ હતું) શુ તમારી પાસે મારું માથું ધોવા માટે સિદરા (સુગંધ માટે સિદરા ઝાડ સાથે મિશ્રિત પાણી) છે?”
અબુ સઈદ અલ-ખુદરી એ કહ્યું: “હા,” અને તેઓ સિદરા લાવ્યા, અને તેની સાથે બુસા કૂવામાં થી પાણી લીધું, અને નબી ﷺ માથું ધોઈ નાખ્યું અને બુસા કૂવામાં વાળ ધોવાનો પાણી નાખ્યું હતું.
9. બીર અલ શિફા (Bir al Shifa)
સ્થિતિ: મદીનાથી આશરે 80 કિમી દૂર બદરના માર્ગ પર આવે છે. ગૂગલ લોકેશન
ઇતિહાસ: આ કૂવો લગભગ 1500 વર્ષ જૂનો છે. શરૂઆતમાં, તેનો પાણી ખારું અને પીવાલાયક નહતું, જે પીવાથી લોકો અને પશુઓ બીમાર પડતા હતા. જ્યારે નબી અકરમ અને તેમના સાથીદારો આ ગામમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સ્થાનિક લોકોએ તેમને કૂવાના પાણીથી દૂર રહેવા ચેતવણી આપી. નબી ﷺ એ કૂવામાં થૂંક મુબારક નાખ્યું અને એલાન કર્યું કે હવે તેનું પાણી શુદ્ધ અને પીવા યોગ્ય છે. ત્યારથી, આ કૂવો “આબ-એ-શિફા” તરીકે ઓળખવામાં આવ્યો.
આ કૂવો આજે પણ અસ્તિત્વમાં છે અને તેના પાણીને આરોગ્યદાયક માનવામાં આવે છે. લોકો અહીંથી પાણી ભરીને ઘરે લઈ જાય છે.
10. બીર અર-રૌહા (Bir ar Rawha)
સ્થિતિ: મદીનાથી આશરે 65-70 કિમી દૂર, બદરના માર્ગ પર. ગૂગલ લોકેશન
ઇતિહાસ: અર-રૌહા એ એક મહત્વપૂર્ણ સ્થળ છે જ્યાં નબી અકરમ અને તેમના સાથીદારો રમઝાન, 2 હિજરીના રોજ બદરની લડાઈ માટે જતા સમયે અહીં વિરામ લીધો હતો.
નબી ﷺ એ આ કૂવામાંથી પાણી પીધું હતું.
અનસ અને અબૂ મૂસા અલ-અશ’અરી (રજિ.) થી રિવાયત છે કે નબી ﷺ એ ફરમાવ્યું: “નિશ્ચિતરૂપે, 70 અંબિયા (પયગંબરોએ) રૌહાના ટેકરી પરથી કા’બા તરફ જતા સમયે પસાર થયા હતા.”
11. કૂવો અને સલમાન ફારસી (રજિ.)નો ઇતિહાસ
ગૂગલ લોકેશન
સલમાન ફારસી (રજિ.) મૂળ પર્શીયન હતા અને સત્યની શોધમાં મુસાફરી કરતા હતા. તેઓ મદીનામાં એક યહૂદી સ્ત્રીના બગીચામાં ગુલામ તરીકે કામ કરતા હતા. જ્યારે તેમણે નબી અકરમ ﷺ સાથે મુલાકાત કરી અને ઇસ્લામ કબૂલ કર્યો, ત્યારે પોતાની મુક્તિ માટે તેમના માલિક સાથે કરાર કર્યો કે તેઓ 300 ખજુરના વૃક્ષો રોપશે અને 40 ઉંસ સોનુ આપશે.
નબી અકરમ ﷺ અને તેમના સહાબીઓએ મળીને આ વૃક્ષો રોપવામાં મદદ કરી. આ બગીચામાં આવેલો કૂવો બીર સલમાન તરીકે ઓળખાયો, જે સલમાન ફારસી (રજિ.)ના આઝાદીની કથા સાથે સંકળાયેલો છે.
વધુ રસપ્રદ અને સહી જાણકારી માટે અમારી વેબસાઇટ ને ફોલો કરતા રહો. અને જે હાજીઓ આ વર્ષે હજ પર જાય છે એમના સુધી શેર કરો. જઝાકલ્લાહુ ખૈર.
– મોહંમદ અવેશ સૈયદ – 9998031372